TEST SERIES

સાઈ સુદર્શન બહાર

ભારતીય ક્રિકેટ ટીમને શ્રીલંકા સામે શરૂ થનારી બે મેચની ટેસ્ટ સિરીઝ પહેલાં મોટો ઝટકો લાગ્યો છે. ટીમના મહત્વના બેટ્સમેન સાઈ સુદર્શન ફિટનેસની સમસ્યાને કારણે સમગ્ર ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયા છે. સુદર્શનને ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેની ફિટનેસને લઈને પહેલેથી જ પ્રશ્નો ઉભા થયા હતા. હવે તેની ગેરહાજરીની સત્તાવાર માહિતી સામે આવતા ભારતીય ટીમની બેટિંગ લાઇનઅપને મોટું નુકસાન થયું છે.

સાઈ સુદર્શન છેલ્લા કેટલાક સમયથી શાનદાર ફોર્મમાં જોવા મળ્યા છે અને ખાસ કરીને ટોપ ઓર્ડરમાં તેની બેટિંગને કારણે ટીમ મેનેજમેન્ટને તેના પર ઘણો વિશ્વાસ હતો. જોકે, પગના અંગૂઠાની ઈજાને કારણે તેઓ શ્રીલંકા પ્રવાસ માટે સંપૂર્ણપણે ફિટ થઈ શક્યા નથી. પરિણામે હવે તેઓ બે ટેસ્ટ મેચની સિરીઝમાં ટીમનો ભાગ નહીં બને.

સુદર્શનના બહાર થવાથી ભારતીય ટીમ માટે નંબર-3ની બેટિંગ પોઝિશન અંગે ચર્ચા વધી છે. તેની જગ્યાએ ટીમમાં કોને તક આપવામાં આવશે તેના પર પસંદગીકારોની નજર છે. અહેવાલો અનુસાર શૈક રાશીદ અને સરફરાઝ ખાન તેના સંભવિત વિકલ્પ તરીકે આગળ છે. બંને ખેલાડીઓએ સ્થાનિક ક્રિકેટમાં સારો દેખાવ કર્યો છે અને ટીમ મેનેજમેન્ટ પાસે હવે બેટિંગમાં યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો પડકાર રહેશે.

આ ઉપરાંત ભારતીય ટીમ પહેલેથી જ ઈજાની સમસ્યાઓનો સામનો કરી રહી છે. ઝડપી બોલર જસપ્રીત બુમરાહ પણ શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ચૂક્યા છે. બીજી તરફ કેપ્ટન શુભમન ગિલને પણ આંગળીમાં ઈજા થઈ હતી, જોકે તેઓ પ્રથમ ટેસ્ટ માટે ઉપલબ્ધ રહેવાની શક્યતા છે.

ભારત અને શ્રીલંકા વચ્ચે બે ટેસ્ટ મેચની સિરીઝ 15 ઓગસ્ટથી શરૂ થવાની છે. સાઈ સુદર્શનની ગેરહાજરીમાં ભારતીય ટીમ હવે મજબૂત શરૂઆત માટે નવા બેટિંગ કોમ્બિનેશન સાથે મેદાનમાં ઉતરશે.

Exit mobile version