શ્રીલંકા સામેની બે ટેસ્ટ મેચની સિરીઝ પહેલાં ભારતીય ક્રિકેટ ટીમમાં મોટો ફેરફાર થયો છે. યુવા બેટર સાઈ સુદર્શન ઈજાના કારણે સિરીઝમાંથી બહાર થઈ ગયો છે, જેના સ્થાને અનુભવી બેટર સરફરાઝ ખાનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. સરફરાઝની લગભગ બે વર્ષ બાદ ભારતીય ટેસ્ટ ટીમમાં વાપસી થઈ છે.
સાઈ સુદર્શનને જમણા પગના અંગૂઠામાં ઈજા થઈ છે. ગયા મહિને શ્રીલંકા એ સામેના પ્રવાસ દરમિયાન તેને આ ઈજા થઈ હતી. હાલમાં તે બેંગલુરુ સ્થિત BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સમાં મેડિકલ ટીમની દેખરેખ હેઠળ રિહેબિલિટેશન કરી રહ્યો છે. ઈજાના કારણે તે 15 ઓગસ્ટથી ગોલમાં શરૂ થનારી પ્રથમ ટેસ્ટમાં રમી શકશે નહીં.
સાઈ સુદર્શન તાજેતરમાં ટેસ્ટ ટીમમાં નંબર-3ની ભૂમિકા માટે પોતાની દાવેદારી મજબૂત કરી રહ્યો હતો. તેની ગેરહાજરી ટીમ માટે મોટો ઝટકો માનવામાં આવે છે. જોકે, હવે આ તક સરફરાઝ ખાન માટે પોતાની જાતને ફરી સાબિત કરવાની બની છે.
28 વર્ષીય સરફરાઝે છેલ્લી ટેસ્ટ મેચ નવેમ્બર 2024માં ન્યૂઝીલેન્ડ સામે રમી હતી. ત્યારથી તે ટીમની બહાર હતો. જોકે, તેણે સ્થાનિક ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કર્યું છે અને પોતાની ફિટનેસ પર પણ ખાસ કામ કર્યું છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સરફરાઝની બેટિંગ સરેરાશ 64થી વધુ છે, જે તેની ક્ષમતા દર્શાવે છે.
ભારતનો શ્રીલંકા પ્રવાસ 15 ઓગસ્ટથી શરૂ થશે. આ સિરીઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27 ચક્રનો ભાગ છે. ભારતીય ટીમ પહેલેથી જ ઈજાઓથી પરેશાન છે. જસપ્રીત બુમરાહ ઉપરાંત હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી, આકાશ દીપ અને વોશિંગ્ટન સુંદર પણ ઉપલબ્ધ નથી. આવી સ્થિતિમાં સરફરાઝની વાપસી ટીમ માટે મહત્વપૂર્ણ બની શકે છે.
હવે સૌની નજર સરફરાઝ પર રહેશે કે તે મળેલી આ તકનો કેટલો ફાયદો ઉઠાવીને શ્રીલંકાની ધરતી પર પોતાનું સ્થાન ફરી મજબૂત કરે છે.
Sarfaraz Khan was recalled by the Board of Control for Cricket in India (BCCI) for the two-Test series against Sri Lanka.https://t.co/5b0HwMuSLR
— Crictoday (@crictoday) August 10, 2026

