TEST SERIES

બેન સ્ટોક્સની નિવૃત્તિ પર યુવરાજ સિંહ થયા ભાવુક

ઇંગ્લેન્ડના દિગ્ગજ ઓલરાઉન્ડર અને પૂર્વ ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કર્યા બાદ સમગ્ર ક્રિકેટ જગતમાંથી તેને શુભેચ્છાઓ મળી રહી છે. આ દરમિયાન ભારતના પૂર્વ સ્ટાર ઓલરાઉન્ડર યુવરાજ સિંહે પણ સોશિયલ મીડિયા પર લાંબી અને ભાવુક પોસ્ટ શેર કરીને સ્ટોક્સના યોગદાનને સલામ કરી હતી.

યુવરાજે પોતાની પોસ્ટમાં લખ્યું કે બેન સ્ટોક્સ માત્ર એક મહાન ક્રિકેટર જ નહીં, પરંતુ અદભૂત લડાયક ખેલાડી પણ રહ્યા છે. મુશ્કેલ પરિસ્થિતિમાં ટીમને જીત અપાવવાની તેની ક્ષમતા તેમને અન્ય ખેલાડીઓથી અલગ બનાવે છે. યુવરાજે કહ્યું કે સ્ટોક્સે પોતાના સમગ્ર કારકિર્દી દરમિયાન અસાધારણ હિંમત, જુસ્સો અને સમર્પણનું પ્રદર્શન કર્યું છે, જેના કારણે તેઓ વિશ્વ ક્રિકેટના સૌથી પ્રભાવશાળી ઓલરાઉન્ડરોમાં સ્થાન મેળવે છે.

તેણે વધુમાં જણાવ્યું કે સ્ટોક્સે ક્રિકેટને અનેક યાદગાર ક્ષણો આપી છે અને તેના જેવા ખેલાડીઓ ખૂબ ઓછા જન્મે છે. મેદાન પર તેની આક્રમકતા, લડાયક વલણ અને ક્યારેય હાર ન માનવાની ભાવના યુવા ક્રિકેટરો માટે પ્રેરણારૂપ રહેશે. યુવરાજે અંતમાં લખ્યું કે “ક્રિકેટ તમને ખૂબ યાદ કરશે” અને સ્ટોક્સના ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

ઉલ્લેખનીય છે કે 35 વર્ષીય બેન સ્ટોક્સે ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. પોતાની નિવૃત્તિ અંગે સ્ટોક્સે જણાવ્યું હતું કે સતત ક્રિકેટ, નેતૃત્વની જવાબદારી અને નસિક તેમજ શારીરિક થાકને કારણે તેમણે આ નિર્ણય લીધો છે. તેઓએ સ્પષ્ટ કર્યું કે આ નિર્ણય અંગે તેને કોઈ અફસોસ નથી અને હવે તેઓ પરિવાર તેમજ સ્થાનિક ક્રિકેટ પર વધુ ધ્યાન આપવા માંગે છે.

બેન સ્ટોક્સે ઇંગ્લેન્ડ માટે અનેક ઐતિહાસિક જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી, જેમાં 2019નો વન-ડે વર્લ્ડ કપ અને 2022નો ટી20 વર્લ્ડ કપ પણ સામેલ છે. તેની નિવૃત્તિ સાથે વિશ્વ ક્રિકેટના એક યાદગાર અધ્યાયનો અંત આવ્યો છે.

Exit mobile version