દરેક ક્રિકેટરનું સપનું હોય છે કે તે પોતાના હોમ ગ્રાઉન્ડ પર ઓછામાં ઓછી એક મેચ રમે. પરંતુ આ માટે પાકિસ્તાની બેટ્સમેન અઝહર અલીએ 12 વર્ષ રાહ જોવી પડી હતી.
સોમવારે જ્યારે અઝહર ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં મેદાન તરફ જઈ રહ્યો હતો ત્યારે તે મનમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો આભાર માની રહ્યો હશે.
તેણે કહ્યું કે તે આ મેદાન પર ઘણી ફર્સ્ટ ક્લાસ મેચ રમી ચૂક્યો છે. પરંતુ તેની ટેસ્ટ ડેબ્યૂ પાકિસ્તાનની બહાર થઈ હતી. એક સમય એવો હતો કે મને મારા હોમ ગ્રાઉન્ડ પર રમવાની તક મળતી ન હતી. પરંતુ આખરે મને આ મેદાન પર રમવાનો મોકો મળ્યો. અઝહરની કારકિર્દીની વાત કરીએ તો, તેણે પાકિસ્તાન માટે 93 ટેસ્ટ મેચ રમી છે અને 7,000 રન બનાવ્યા છે જેમાં 19 સદી સામેલ છે.
3 માર્ચ 2009ના રોજ પાકિસ્તાનમાં શ્રીલંકાની ટીમ સાથે જે બન્યું તે પછી સુરક્ષાના કારણોસર લાહોરમાં ટેસ્ટ મેચ યોજાઈ ન હતી. તે ઘટનામાં, શ્રીલંકાની ટીમ આતંકવાદી હુમલામાંથી બચી ગઈ હતી. આ હુમલા બાદ ગદ્દાફી સ્ટેડિયમના હોસ્ટિંગ અધિકારો સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હવે 13 વર્ષ પછી, પાકિસ્તાનના આ પ્રતિષ્ઠિત ગદ્દાફી સ્ટેડિયમમાં ટેસ્ટ પરત આવી છે, જેણે ઘણા ખેલાડીઓની જૂની યાદો તાજી કરી છે.
જો કે, અઝહર પહેલો ક્રિકેટર નથી જે આટલા લાંબા સમય પછી ગદ્દાફી સ્ટેડિયમમાં યોજાનારી મેચને લઈને ભાવુક થયો હોય. ફાસ્ટ બોલર શોએબ અખ્તરે પણ ટ્વિટ કરીને પોતાના જૂના દિવસોને યાદ કર્યા છે. તેણે લખ્યું છે કે તેણે આ મેદાન પર છેલ્લી મેચ 2006માં રમી હતી. 2009ની ભયાનક ઘટનાને યાદ કરતા તેણે લખ્યું કે રિમેચ થવામાં 13 વર્ષ લાગ્યા. ત્રીજી ટેસ્ટ સિવાય ઓસ્ટ્રેલિયન ટીમ આ મેદાન પર ત્રણ મેચની વનડે સિરીઝ અને એકમાત્ર ટી-20 મેચ રમશે.