ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે T20 વર્લ્ડ કપ 2022માં અત્યાર સુધી શાનદાર બોલિંગ કરી છે. તેણે અત્યાર સુધી રમાયેલી 4 મેચમાં 9 વિકેટ લીધી છે.
તે હવે ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર આરપી સિંહનો એક ખાસ રેકોર્ડ તોડવાની નજીક પહોંચી ગયો છે. આ માટે તેણે 4 વિકેટ લેવી પડશે. ટીમ ઈન્ડિયા તેની છેલ્લી ગ્રુપ મેચ 6 નવેમ્બરે ઝિમ્બાબ્વે સામે રમશે અને આ મેચમાં અર્શદીપ સિંહ આ રેકોર્ડ તોડી શકે છે.
ટી20 વર્લ્ડ કપ સિઝનમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ આરપી સિંહના નામે છે. તેણે વર્ષ 2007માં 12 વિકેટ ઝડપી હતી. આ મામલામાં ઈરફાન પઠાણ બીજા નંબર પર છે. પઠાણે 2007માં 10 વિકેટ લીધી હતી. આશિષ નેહરા પણ બીજા સ્થાને છે. તેણે 2010માં 10 વિકેટ ઝડપી હતી. આ મામલામાં લક્ષ્મીપતિ બાલાજી અને અર્શદીપ સિંહ ત્રીજા સ્થાને 9-9થી બરાબરી પર છે. અર્શદીપ T20 વર્લ્ડ કપ સિઝનમાં 4 વિકેટ લઈને સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની જશે.
ભારતે T20 વર્લ્ડ કપ 2022માં અત્યાર સુધી 4 મેચ રમી છે અને આ સમયગાળા દરમિયાન 3 મેચ જીતી છે. ભારતની પ્રથમ મેચ પાકિસ્તાન સામે હતી. જેમાં તેણે રોમાંચક જીત નોંધાવી હતી. અર્શદીપે આ મેચમાં 32 રન આપીને 3 વિકેટ લીધી હતી. આ પછી તેણે નેધરલેન્ડ સામેની મેચમાં 2 વિકેટ ઝડપી હતી. અર્શદીપે દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ સામે પણ બે-બે વિકેટ લીધી હતી. ટીમ ઈન્ડિયાને દક્ષિણ આફ્રિકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
અર્શદીપ સિંહ હજુ યુવા ખેલાડી છે, પરંતુ તેણે પોતાના પ્રદર્શનના આધારે ટીમમાં પોતાની જગ્યા બનાવી છે. અર્શદીપે અત્યાર સુધી રમાયેલી 17 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 28 વિકેટ લીધી છે
