BCCI સેક્રેટરી જય શાહે શુક્રવારે એવા દાવાઓને રદિયો આપ્યો હતો કે બોર્ડે ભારતના મુખ્ય કોચ બનવા માટે ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરનો સંપર્ક કર્યો છે. વર્તમાન કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ આવતા મહિને યોજાનાર T20 વર્લ્ડ કપ પછી સમાપ્ત થઈ રહ્યો છે.
એવું માનવામાં આવે છે કે દ્રવિડે બોર્ડને કહ્યું છે કે તે તેના કાર્યકાળમાં વધુ કોઈ વિસ્તરણ ઈચ્છતો નથી. ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર રિકી પોન્ટિંગ અને જસ્ટિન લેંગરે દાવો કર્યો છે કે તેઓએ આ પોસ્ટની ઓફરને ફગાવી દીધી છે.
શાહે એક નિવેદનમાં કહ્યું, ‘મારા અથવા બીસીસીઆઈ તરફથી કોઈએ કોચ પદ માટે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટરનો સંપર્ક કર્યો નથી. મીડિયામાં ચાલી રહેલા આ અંગેના સમાચાર તદ્દન ખોટા છે.
પોન્ટિંગ અને લેંગર ઈન્ડિયન પ્રીમિયર લીગમાં અનુક્રમે દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સના કોચ છે. રાહુલ દ્રવિડ પછી ભારતીય કોચની પસંદગી અંગે સંકેત આપતા શાહે કહ્યું, ‘રાષ્ટ્રીય ટીમ માટે યોગ્ય કોચ શોધવો એ લાંબી પ્રક્રિયા છે. અમે એવા વ્યક્તિની શોધમાં છીએ જે ભારતીય ક્રિકેટના બંધારણની ઊંડી સમજ ધરાવતો હોય અને પોતાની કુશળતાથી ટોચ પર પહોંચ્યો હોય.
કોલકાતા નાઈટ રાઈડર્સના મેન્ટર અને પૂર્વ બેટ્સમેન ગૌતમ ગંભીરને પણ આ પદ માટેના મુખ્ય દાવેદારોમાં ગણવામાં આવે છે.