LATEST

રાહુલ દ્રવિડના પુત્ર અન્વયની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી

ભારતીય ક્રિકેટમાં એક વધુ દ્રવિડની એન્ટ્રી થવા જઈ રહી છે. ભારતીય ક્રિકેટ નિયામક મંડળ (BCCI)ની જુનિયર પસંદગી સમિતિએ શ્રીલંકા પ્રવાસ માટે ભારતની અંડર-19 ટીમની જાહેરાત કરી છે, જેમાં પૂર્વ ભારતીય કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન Rahul Dravidના પુત્ર અન્વય દ્રવિડને પણ તક આપવામાં આવી છે. અન્વયને વન-ડે ટીમમાં સ્થાન મળતાં ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ભારતની અંડર-19 ટીમ આગામી જુલાઈ મહિનામાં શ્રીલંકાના પ્રવાસે જશે. આ પ્રવાસ દરમિયાન બંને ટીમો વચ્ચે ત્રણ એકદિવસીય અને બે બહુદિવસીય મેચોની શ્રેણી રમાશે. પસંદગીકારોએ ભવિષ્યના સ્ટાર ખેલાડીઓને ધ્યાનમાં રાખીને સંતુલિત સ્ક્વોડ તૈયાર કર્યો છે.

ટીમની કમાન યશબર્ધન સિંહ ચૌહાણને સોંપવામાં આવી છે, જ્યારે લક્ષ્ય રાયચંદાનીને ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે. અન્વય દ્રવિડ મધ્યક્રમના બેટ્સમેન તરીકે ઓળખાય છે અને છેલ્લા કેટલાક સમયથી જુનિયર ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે. તેના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને પસંદગીકારોએ તેને આ મહત્વપૂર્ણ તક આપી છે.

અન્વયના સમાવેશને કારણે ક્રિકેટ જગતમાં ખાસ ચર્ચા શરૂ થઈ છે. તેના પિતા રાહુલ દ્રવિડે ભારતીય ક્રિકેટને લાંબા સમય સુધી સેવા આપી હતી અને હવે ચાહકોની નજર અન્વય પર રહેશે કે શું તે પણ પોતાના પિતાની જેમ ભારતીય ક્રિકેટમાં મોટું નામ બનાવી શકે છે. જોકે અન્વય માટે આ માત્ર શરૂઆત છે અને શ્રીલંકા પ્રવાસ તેના માટે પોતાની પ્રતિભા સાબિત કરવાની મોટી તક બની શકે છે.

આ પ્રવાસમાં ભારતીય યુવા ખેલાડીઓના પ્રદર્શન પર સૌની નજર રહેશે, કારણ કે આમાંથી ઘણા ખેલાડીઓ ભવિષ્યમાં સિનિયર ભારતીય ટીમ માટે દાવેદારી રજૂ કરી શકે છે. અન્વય દ્રવિડ સહિત અનેક યુવા ખેલાડીઓ માટે આ શ્રેણી કારકિર્દીનો મહત્વપૂર્ણ પડાવ સાબિત થઈ શકે છે.

Exit mobile version