LATEST

NEET પેપર લીક મુદ્દે શુભમન ગિલનો વિદ્યાર્થીઓને ખુલ્લો સમર્થન

ભારતીય ટેસ્ટ અને વનડે ટીમના કેપ્ટન શુભમન ગિલે NEET પેપર લીક વિવાદને લઈને દેશભરમાં ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલન પર પોતાની પ્રતિક્રિયા આપી છે. સામાન્ય રીતે ભારતીય ક્રિકેટરો સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર જાહેરમાં નિવેદન આપવાનું ટાળતા હોય છે, પરંતુ શુભમન ગિલે સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક સંદેશ શેર કરીને વિદ્યાર્થીઓના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો છે.

શુભમન ગિલે પોતાના સંદેશમાં લખ્યું કે, “એક યુવાન ભારતીય તરીકે મને વિશ્વાસ છે કે અમારી પેઢીને શીખવા, સપનાઓ જોવા અને દેશના ભવિષ્યને ઘડવાની દરેક તક મળવી જોઈએ.” તેણે આગળ જણાવ્યું કે શિક્ષણ માત્ર પરીક્ષા પાસ કરવાનો માર્ગ નથી, પરંતુ તે દેશના ભવિષ્યને ઘડવાનું સૌથી શક્તિશાળી સાધન છે. તેથી દરેક વિદ્યાર્થીને ન્યાયસંગત અને પારદર્શક વ્યવસ્થા મળવી જોઈએ.

ગિલે પોતાના સંદેશમાં શાંતિપૂર્ણ વિરોધ અને પરસ્પર સન્માન પર પણ ભાર મૂક્યો હતો. તેણે કહ્યું કે મતભેદ હોવા છતાં કરુણા અને સમજણ સાથે આગળ વધવું જરૂરી છે. વિદ્યાર્થીઓના અવાજને સાંભળવો અને તેમની ચિંતાઓને ગંભીરતાથી લેવી દરેકની જવાબદારી છે.

તાજેતરમાં NEET પેપર લીકને લઈને દેશના અનેક ભાગોમાં વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ મુદ્દે અનેક જાણીતા કલાકારો અને જાહેર જીવન સાથે જોડાયેલા લોકો પણ વિદ્યાર્થીઓના સમર્થનમાં આગળ આવ્યા છે. શુભમન ગિલનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે આ મુદ્દો દેશવ્યાપી ચર્ચાનો વિષય બન્યો છે અને પરીક્ષા પ્રણાલીની વિશ્વસનીયતા અંગે પ્રશ્નો ઊભા થયા છે.

શુભમન ગિલના આ સંદેશને સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં લોકોનું સમર્થન મળ્યું છે. ઘણા ચાહકોએ તેના આ પગલાની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે દેશના અગ્રણી ખેલાડીએ વિદ્યાર્થીઓની લાગણીઓને સમજવાનો પ્રયાસ કર્યો છે. હવે ગિલનું આ નિવેદન ક્રિકેટ જગત ઉપરાંત દેશભરના યુવાનો વચ્ચે પણ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

Exit mobile version