ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા અને વિરાટ કોહલીના 2027ના વનડે વર્લ્ડ કપમાં રમવા અંગે સતત ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને ‘એશિયન બ્રેડમેન’ તરીકે જાણીતા ઝહીર અબ્બાસે બંને ભારતીય દિગ્ગજોના સમર્થનમાં મોટું નિવેદન આપ્યું છે. તેણે સ્પષ્ટ કહ્યું કે જો રોહિત અને વિરાટ સંપૂર્ણ રીતે ફિટ છે અને સારું પ્રદર્શન કરી રહ્યા છે, તો માત્ર ઉંમરના આધારે તેને ટીમમાંથી બહાર રાખવા જોઈએ નહીં.
ઝહીર અબ્બાસના જણાવ્યા અનુસાર, મોટા ટૂર્નામેન્ટમાં અનુભવ સૌથી મોટું હથિયાર હોય છે. તેણે કહ્યું કે રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા ખેલાડીઓ પાસે મેચનો દબાણ ઝીલવાની ક્ષમતા અને મહત્વની મેચ જીતાડવાનો અનુભવ છે. તેથી 2027ના વર્લ્ડ કપમાં ભારત માટે બંનેની હાજરી ખૂબ જ મહત્વપૂર્ણ બની શકે છે.
અબ્બાસે ખાસ કરીને રોહિત શર્માના તાજેતરના શાનદાર સદીના ઇનિંગ્સની પ્રશંસા કરી અને કહ્યું કે તે હજુ પણ વિશ્વસ્તરીય ક્રિકેટ રમવાની ક્ષમતા ધરાવે છે. બીજી તરફ વિરાટ કોહલી વિશે તેણે જણાવ્યું કે તેની ટેક્નિક, ફિટનેસ અને સતત પ્રદર્શન આજે પણ વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓમાં સ્થાન અપાવે છે.
તાજેતરના સમયમાં ભારતીય ટીમના ભવિષ્યને લઈને અનેક પૂર્વ ક્રિકેટરો અલગ-અલગ મંતવ્યો આપી રહ્યા છે. કેટલાકનું માનવું છે કે યુવા ખેલાડીઓને તક આપવી જોઈએ, જ્યારે અન્ય ઘણા દિગ્ગજોનું કહેવું છે કે રોહિત અને વિરાટ જેવા અનુભવી ખેલાડીઓ મોટા મંચ પર હજુ પણ મેચનું પાસું પલટાવી શકે છે.
ઉલ્લેખનીય છે કે 2027નો વનડે વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં રમાવાનો છે. હવે જોવાનું રહેશે કે આગામી એક વર્ષ દરમિયાન રોહિત શર્મા અને વિરાટ કોહલી પોતાની ફિટનેસ અને ફોર્મ જાળવી રાખીને ટીમ ઇન્ડિયામાં સ્થાન મજબૂત બનાવી શકે છે કે નહીં. જોકે ઝહીર અબ્બાસનું નિવેદન બંને દિગ્ગજોના સમર્થકો માટે ચોક્કસપણે ઉત્સાહજનક સમાચાર સાબિત થયું છે.
Pakistani legend Zaheer Abbas backs Virat Kohli and Rohit Sharma to play the upcoming World Cup, stating age shouldn’t matter as long as fitness and run-scoring form continue. #ViratKohli #RohitSharma #ZaheerAbbas #TeamIndia #WorldCup pic.twitter.com/nvnrAO0rH0
— Crictoday (@crictoday) July 31, 2026

