ODIS

ડેબ્યૂ મેચ જ બની કારકિર્દીની છેલ્લી મેચ

ભારતીય ક્રિકેટમાં ટીમ ઈન્ડિયા માટે રમવાનું સપનું દરેક ખેલાડીનું હોય છે. ઘણા ખેલાડીઓને આ તક મળે છે, પરંતુ કેટલાક માટે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ જ તેની કારકિર્દીની અંતિમ મેચ બની જાય છે. ભારતીય ક્રિકેટમાં એવા પાંચ ખેલાડીઓ છે, જેણે દેશ માટે માત્ર એક જ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.

ફૈઝ ફઝલ: વિદર્ભના અનુભવી બેટ્સમેન ફૈઝ ફઝલે 2016માં ઝિમ્બાબ્વે સામે વનડે ડેબ્યૂ કર્યું હતું. પહેલી જ મેચમાં તેણે શાનદાર બેટિંગ કરતાં અણનમ 55 રનની મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. ભારતે આ મેચ 10 વિકેટે જીતી હતી. તેમ છતાં ફઝલને ફરી ટીમ ઈન્ડિયામાં તક મળી નહીં અને તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી માત્ર એક મેચ સુધી સીમિત રહી.

સુદીપ ત્યાગી: ઉત્તર પ્રદેશના ફાસ્ટ બોલર સુદીપ ત્યાગીએ 2009માં શ્રીલંકા સામે વનડે ડેબ્યૂ કર્યું હતું. તેમણે આ મેચમાં 63 રન આપ્યા, પરંતુ એકપણ વિકેટ મેળવી શક્યા નહોતા. ત્યારબાદ ટીમમાં ઝડપી બોલરો વચ્ચેની સ્પર્ધા અને ફિટનેસ સમસ્યાઓના કારણે તેઓ ફરી ભારતીય ટીમમાં સ્થાન મેળવી શક્યા નહીં.

રોબિન સિંહ જુનિયર: 1999માં ઓસ્ટ્રેલિયા સામે મેલબોર્નમાં રોબિન સિંહ જુનિયરે એકમાત્ર વનડે મેચ રમી હતી. તેણે 7 ઓવરમાં 51 રન આપ્યા અને કોઈ વિકેટ મેળવી નહોતી. ત્યારબાદ તેઓ ફરી ટીમમાં પસંદ થયા નહીં.

પંકજ ધર્માણી: 1996માં દક્ષિણ આફ્રિકા સામે વનડે ડેબ્યૂ કરનાર પંકજ ધર્માણી માત્ર 8 રન બનાવી શક્યા હતા. નયન મોંગિયાની વાપસી બાદ તેને ફરી તક મળી નહીં.

શ્રીનાથ અરવિંદ: 2015માં દક્ષિણ આફ્રિકા સામે ટી-20 આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કરનાર અરવિંદે 3.4 ઓવરમાં 44 રન આપી એક વિકેટ લીધી હતી. આ તેની એકમાત્ર આંતરરાષ્ટ્રીય મેચ રહી.

આ પાંચેય ખેલાડીઓની કહાની બતાવે છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક તક મળવી જેટલું મહત્વનું છે, તેટલું જ તેને સતત તકમાં બદલવું પણ જરૂરી છે.

Exit mobile version