OFF-FIELD

મંગેતર આકૃતિ અગ્રવાલે અફવાઓ પર તોડી ચૂપ્પી

ભારતીય ક્રિકેટર પૃથ્વી શૉ છેલ્લા કેટલાક દિવસોથી પોતાના ક્રિકેટ નહીં પરંતુ અંગત જીવનને કારણે ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર એવી અફવાઓ જોર પકડી રહી હતી કે પૃથ્વી શૉ અને તેની મંગેતર આકૃતિ અગ્રવાલ વચ્ચે સંબંધોમાં તણાવ છે. આ ચર્ચાને વેગ ત્યારે મળ્યો જ્યારે આકૃતિએ પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કેટલાક રહસ્યમય સંદેશા શેર કર્યા હતા, જેને ઘણા લોકોએ પૃથ્વી શૉ સાથે જોડીને જોયા હતા.

અફવાઓ વધતાં આખરે આકૃતિ અગ્રવાલે ખુદ સામે આવીને સ્પષ્ટતા કરી છે. તેણે જણાવ્યું કે તેના અને પૃથ્વી શૉના બ્રેકઅપની તમામ વાતો સંપૂર્ણપણે ખોટી છે. આકૃતિએ કહ્યું કે બંને હજુ પણ સગાઈના બંધનમાં છે અને પોતાના સંબંધમાં ખુશ છે. તેણે એ પણ જણાવ્યું કે સોશિયલ મીડિયા પર ફેલાયેલી અફવાઓથી પૃથ્વી શૉની છબીને નુકસાન પહોંચ્યું છે અને લોકો કોઈપણ માહિતીની સત્યતા તપાસ્યા વગર વિશ્વાસ ન કરે.

આ પહેલાં સોશિયલ મીડિયા પર એવી અટકળો ચાલી રહી હતી કે આકૃતિએ પૃથ્વી શૉને અનફોલો કરી દીધા છે અને સગાઈની તસવીરો પણ હટાવી દીધી છે. કેટલાક વાયરલ પોસ્ટ્સમાં તો પૃથ્વી શૉ પર છેતરપિંડીના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. જોકે આ દાવાઓની સત્તાવાર પુષ્ટિ થઈ નહોતી અને હવે આકૃતિએ પોતે જ આ તમામ અફવાઓને નકારી દીધી છે.

ઉલ્લેખનીય છે કે પૃથ્વી શૉ અને આકૃતિ અગ્રવાલે માર્ચ 2026માં સગાઈ કરી હતી. હાલમાં પૃથ્વી શૉ ક્રિકેટમાં ફરીથી મજબૂત વાપસી કરવા માટે મહેનત કરી રહ્યા છે. આ વચ્ચે તેની અંગત જિંદગીને લઈને ઉભી થયેલી ચર્ચાઓએ ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું, પરંતુ આકૃતિના નિવેદન બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે બંને વચ્ચે કોઈ વિખવાદ નથી અને તેઓ સાથે ખુશ છે.

Exit mobile version