OFF-FIELD

આખરે રિયાન પરાગને કરાવવું પડ્યું સર્જરી!

ભારતીય ક્રિકેટર અને Rajasthan Royals ના કેપ્ટન Riyan Parag ના જમણા ખભાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે. છેલ્લા લગભગ બે વર્ષથી ખભાની ઈજાથી પરેશાન રહેલા પરાગે સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકોને આ અંગે માહિતી આપી હતી. ઓપરેશન બાદ તેણે જણાવ્યું કે હવે તેની સામે સૌથી મોટો પડકાર રિકવરી, રિહેબિલિટેશન અને ધીરજ રાખવાનો છે.

24 વર્ષીય ઓલરાઉન્ડર છેલ્લા કેટલાક સમયથી સતત ઈજાઓનો સામનો કરી રહ્યા હતા. ખભાની સમસ્યાના કારણે તેને શ્રીલંકામાં ચાલી રહેલી ઇન્ડિયા A ટીમની ત્રિકોણીય શ્રેણીમાંથી પણ બહાર થવું પડ્યું હતું. તાજેતરમાં હેમસ્ટ્રિંગ ઈજાએ પણ તેને પરેશાન કર્યા હતા. હવે મુંબઈની હોસ્પિટલમાં પ્રસિદ્ધ ઓર્થોપેડિક સર્જન ડૉ. દિનશૉ પારડીવાલાની દેખરેખ હેઠળ તેની સફળ સર્જરી કરવામાં આવી છે.

ઓપરેશન બાદ પરાગે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે છેલ્લા બે વર્ષ તેના માટે ખૂબ જ પડકારજનક રહ્યા. કેટલીક ક્ષણો સારી રહી તો કેટલીક નિરાશાજનક પણ હતી. ઘણી વખત માત્ર એક મેચ પૂરી કરવી પણ મુશ્કેલ બની જતી હતી. તેમ છતાં તેણે હાર માની નથી અને હવે તેઓ સંપૂર્ણ ફિટ થઈને મેદાન પર પરત ફરવા માટે પ્રતિબદ્ધ છે.

બીસીસીઆઈના સેન્ટર ઓફ એક્સલન્સ, બેંગલુરુમાં હવે તેની રિહેબ પ્રક્રિયા શરૂ થશે. હાલ તેની વાપસી માટે કોઈ નિશ્ચિત સમયમર્યાદા જાહેર કરવામાં આવી નથી અને બોર્ડનું મુખ્ય ધ્યાન તેની સંપૂર્ણ સ્વસ્થતા પર છે. આ કારણે તેઓ 2026-27ની સ્થાનિક સિઝનના પ્રારંભિક ભાગમાંથી બહાર રહી શકે છે.

ઉલ્લેખનીય છે કે પરાગે IPL 2026માં રાજસ્થાન રોયલ્સનું સફળ નેતૃત્વ કર્યું હતું અને ટીમને પ્લેઓફ સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે ચાહકો તેની ઝડપી અને સફળ વાપસીની રાહ જોઈ રહ્યા છે.

Exit mobile version