ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રણ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી હાલમાં 1-1 થી બરાબર છે અને નિર્ણાયક 7 જાન્યુઆરીએ રમાશે. ભારતને બીજી T20 ઈન્ટરનેશનલ મેચમાં 16 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
207 રનના ટાર્ગેટનો પીછો કરતા ટીમ ઈન્ડિયાએ એક તબક્કે 57 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. એવું લાગતું હતું કે ટીમ ઈન્ડિયા આ મેચ શરમજનક રીતે હારી જશે, પરંતુ સૂર્યકુમાર યાદવ અને અક્ષર પટેલે સાથે મળીને ભારતને શરમજનક હારમાંથી બચાવ્યું અને અંત સુધી જીતની આશા જગાવી. આ મેચમાં અક્ષર પટેલે 31 બોલમાં 65 રન ફટકાર્યા હતા. તે સાતમા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. ભારત માટે T20 ઈન્ટરનેશનલમાં સાતમા ક્રમે રમતા કોઈપણ બેટ્સમેનનો આ સૌથી વધુ સ્કોર છે.
અગાઉ, સાત કે નીચેના નંબર પર રમતા, રવિન્દ્ર જાડેજાએ 2020માં ઓસ્ટ્રેલિયા સામે ભારત માટે સૌથી વધુ સ્કોર બનાવ્યો હતો, જ્યારે જાડેજા 44 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યો હતો. આ પછી દિનેશ કાર્તિકનું નામ આવે છે, જેણે 2022માં વેસ્ટ ઈન્ડિઝ સામે અણનમ 41 રન બનાવ્યા હતા.
તે પછી ધોની છે, જેણે 2012માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ 38 રન બનાવ્યા હતા. અક્ષર પટેલ T20 ઈન્ટરનેશનલ મેચોમાં સાત કે નીચેના નંબર પર બેટિંગ કરીને ફિફ્ટી ફટકારનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બન્યો છે. અક્ષરે આ ઇનિંગ દરમિયાન ત્રણ ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા.