વિરાટ કોહલીએ T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે 53 બોલમાં 82 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ઘણા ખેલાડીઓ અને ખુદ વિરાટ કોહલી આને પોતાની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ઈનિંગ્સ માને છે. વિરાટ કોહલીની શાનદાર ઇનિંગના બળે ટીમ ઇન્ડિયાએ 4 વિકેટે જીત મેળવી હતી. મિસ્બાહ ઉલ હક વિરાટ કોહલીની વિસ્ફોટક ઈનિંગને લઈને મોટું નિવેદન આપતો જોવા મળી રહ્યો છે.
T20 વર્લ્ડ કપ 2022માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રોમાંચથી ભરેલી હતી. ભારતે પ્રથમ બોલિંગ કરતા પાકિસ્તાનને 159 રનમાં રોકી દીધું હતું. પરંતુ લક્ષ્યનો પીછો કરતા ટીમ ઈન્ડિયાએ 31 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા વચ્ચેની ભાગીદારીએ ટીમ ઈન્ડિયાને રમતમાં રાખ્યું.
બંને બેટ્સમેન વચ્ચે પાંચમી વિકેટ માટે 113 રનની ભાગીદારી નોંધાઈ હતી. વિરાટ કોહલીની 82 રનની અણનમ ઈનિંગથી ભારતને જીત અપાવી હતી. વિરાટ કોહલીને તેના શાનદાર પ્રદર્શનના કારણે પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ પણ મળ્યો હતો. પાકિસ્તાની ખેલાડી મિસ્બાહ-ઉલ-હક વિરાટ કોહલીની શાનદાર ઇનિંગના વખાણ કરતો જોવા મળી રહ્યો છે.
સ્પોર્ટ્સ યારી પર વાત કરતા મિસ્બાહ-ઉલ-હકે કહ્યું, ‘જ્યારે તમારી પાસે સ્વભાવ અને આત્મવિશ્વાસ હોય તો તમે આ પ્રકારની ઇનિંગ્સ રમી શકો છો. તમને લાગશે કે આ વિરાટનું પુનરાગમન હતું પરંતુ હું માનું છું કે તેની શરૂઆત એશિયા કપથી થઈ હતી. તે ટુર્નામેન્ટમાં તેને તેની લય મળી હતી.
મિસ્બાહ-ઉલ-હકે વધુમાં કહ્યું, ‘આત્મવિશ્વાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમારી પાસે યોગ્ય સ્વભાવ છે, તો ધ્યાન કેન્દ્રિત કરો, તમે તકને પકડી શકો છો. કોહલી તેના ઝોનમાં હતો અને હરિસ રઉફ સામે બે છગ્ગાએ રમત બદલી નાખી હતી.’