ટીમ ઈન્ડિયાને શ્રીલંકા સામેની બીજી T20 ઈન્ટરનેશનલ મેચમાં 16 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ સીરિઝ અત્યારે 1-1થી બરાબર થઈ ગઈ છે અને સિરીઝની છેલ્લી મેચ હવે 7મી જાન્યુઆરીએ રમાવાની છે.
આ હારનો સૌથી મોટો દોષી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ હતો, જેણે મેચ દરમિયાન પાંચ નો-બોલ ફેંક્યા હતા. શ્રીલંકા માટે કુસલ મેન્ડિસ અને પથુમ નિસાન્કાએ માત્ર 8.2 ઓવરમાં 80 રન ઉમેર્યા હતા. પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે પોતાનો ગુસ્સો અર્શદીપ સિંહ પર ઠાલવ્યો હતો.
ગાવસ્કરે સ્ટાર સ્પોર્ટ્સ પર કહ્યું, ‘એક પ્રોફેશનલ તરીકે તમે આ ન કરી શકો. આપણે મોટાભાગે આજના ખેલાડીઓને કહેતા સાંભળીએ છીએ કે વસ્તુઓ અમારા નિયંત્રણમાં નથી, પરંતુ નો બોલ ફેંકવો એ તમારા નિયંત્રણમાં નથી. તમે બોલ ફેંક્યા પછી બેટ્સમેન શું કરે છે એ અલગ બાબત છે. નો-બોલ ન ફેંકવો એ તમારા નિયંત્રણની બાબત છે.
અર્શદીપ સિંહ આ મેચમાં નો-બોલની હેટ્રિક કરનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો, જેણે T20 આંતરરાષ્ટ્રીય મેચમાં આ શરમજનક રેકોર્ડ હાંસલ કર્યો. અર્શદીપે તેની પહેલી જ ઓવરમાં 19 રન લૂટયા હતા. હાર્દિક પંડ્યાએ પણ નો બોલને લઈને મેચ બાદ અર્શદીપ પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે આવું કરવું ગુનો છે.