T-20

બીજા ટી20માં બદલાશે ભારતની ઓપનિંગ જોડી?

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચોની ટી20 શ્રેણીની બીજી મેચ પહેલા ભારતીય ટીમની સંભવિત પ્લેઇંગ ઇલેવનને લઈને ચર્ચાઓ તેજ બની છે. પ્રથમ ટી20 બાદ ટીમ મેનેજમેન્ટ ઓપનિંગ જોડીમાં ફેરફાર કરી શકે તેવી અટકળો ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અભિષેક શર્મા અને સંજૂ સેમસનની જોડી તૂટવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને તેના સ્થાને ઈશાન કિશન સાથે યુવા બેટર વૈભવ સૂર્યવંશીને ઓપનિંગ કરવાની તક મળી શકે તેવી ચર્ચા છે. જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

પ્રથમ ટી20માં ભારતીય ટોપ ઓર્ડર અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યો નહોતો, જેના કારણે ટીમ મેનેજમેન્ટ નવા કોમ્બિનેશન પર વિચાર કરી રહ્યું હોવાનું કહેવાય છે. વૈભવ સૂર્યવંશીએ ઘરેલુ ક્રિકેટ અને જુનિયર સ્તરે પોતાની આક્રમક બેટિંગથી બધાનું ધ્યાન ખેંચ્યું છે, જ્યારે ઈશાન કિશન પાસે આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટનો સારો અનુભવ છે. આવી સ્થિતિમાં બંનેની જોડીને અજમાવવાનો વિકલ્પ ચર્ચામાં છે.

બીજી તરફ ઘણા પૂર્વ ક્રિકેટરોએ સંજૂ સેમસનને વધુ તક આપવાની વકાલત કરી છે. ચેતેશ્વર પુજારા અને દિનેશ કાર્તિક જેવા દિગ્ગજોએ માન્યું છે કે માત્ર એક-બે નિષ્ફળ ઇનિંગ્સના આધારે સંજૂને બહાર કરવો યોગ્ય નિર્ણય નહીં ગણાય. તેના મતે અનુભવી ખેલાડીઓ પર વિશ્વાસ જાળવવો જરૂરી છે અને વૈભવ જેવા યુવા ખેલાડીને ઉતાવળ ટીમમાં સામેલ કરવાને બદલે યોગ્ય સમયની રાહ જોવી જોઈએ.

હવે તમામની નજર બીજી ટી20 મેચ માટે ભારતીય ટીમની અંતિમ પ્લેઇંગ ઇલેવન પર રહેશે. શું ટીમ મેનેજમેન્ટ યુવા ખેલાડીઓને તક આપીને મોટો દાવ રમશે કે પછી અનુભવી ખેલાડીઓ પર વિશ્વાસ જાળવી રાખશે, તેનો જવાબ મેચના ટોસ સમયે મળશે.

Exit mobile version