TEST SERIES

શ્રીલંકા A સામેની બે ચાર દિવસીય ટેસ્ટ માટે ધ્રુવ જુરેલ ભારત A ટીમનું નેતૃત્વ કરશે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની પસંદગી સમિતિએ શ્રીલંકા A સામે રમાનારી બે ચાર દિવસીય મેચો માટે ઈન્ડિયા A ટીમની જાહેરાત કરી છે. આ મહત્વપૂર્ણ પ્રવાસ માટે વિકેટકીપર-બેટર ધ્રુવ જુરેલને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ગોલે ખાતે 25 જૂનથી 5 જુલાઈ દરમિયાન રમાનારી આ સિરીઝ યુવા ખેલાડીઓ માટે પોતાની પ્રતિભા સાબિત કરવાની મોટી તક બની રહેશે.

ધ્રુવ જુરેલ છેલ્લા કેટલાક સમયથી સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. ઘરેલુ ક્રિકેટ અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની બેટિંગ તથા નેતૃત્વ ક્ષમતાથી તેણે પસંદગીકારોનો વિશ્વાસ જીત્યો છે. તેની સાથે દેવદત્ત પડિક્કલને ઉપ-કપ્તાનની જવાબદારી સોંપવામાં આવી છે.

આ ટીમમાં કેટલાક નવા અને પ્રતિભાશાળી ખેલાડીઓને પણ સ્થાન મળ્યું છે. જમ્મુ-કાશ્મીરના ઝડપી બોલર આકિબ નબીને પ્રથમ વખત ઈન્ડિયા A ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે. રણજી ટ્રોફી 2025-26માં તેમની શાનદાર બોલિંગના કારણે તેને આ તક મળી છે. આકિબે પોતાની ટીમને ઐતિહાસિક સફળતા અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને સમગ્ર ટૂર્નામેન્ટમાં 60 વિકેટ લઈને ચર્ચામાં આવ્યા હતા.

બેટિંગ વિભાગમાં સાઈ સુદર્શન, ઋતુરાજ ગાયકવાડ અને એન. જગદીશન જેવા અનુભવી ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત અમન મોખાડે અને શેખ રશીદને પ્રથમ વખત ઈન્ડિયા A ટીમમાં તક મળી છે. બોલિંગ આક્રમણમાં યશ ઠાકુર, અંશુલ કંબોજ, ગુરનૂર બરાર અને આકિબ નબી પર ખાસ નજર રહેશે.

શ્રીલંકાની સ્પિનને અનુકૂળ પરિસ્થિતિઓમાં રમાનારી આ સિરીઝ ભારતના આગામી ટેસ્ટ ખેલાડીઓ તૈયાર કરવા માટે ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. પસંદગીકારોની નજર હવે એ વાત પર રહેશે કે આ યુવા ખેલાડીઓ વિદેશી પરિસ્થિતિઓમાં પોતાનું કૌશલ્ય કેટલું સાબિત કરી શકે છે.

Exit mobile version