ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં ચાલુ થઈ ગઈ છે.
આ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચાર ટેસ્ટ ભારતીય ટીમ માટે ખૂબ મહત્વ ધરાવે છે, કારણ કે આ શ્રેણી દ્વારા ભારતીય ટીમનો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાનો માર્ગ નક્કી થશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોતાનો રસ્તો સરળ બનાવવા માટે ભારત માટે આ શ્રેણી જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આ શ્રેણીમાં ભારતીય ટીમનો દબદબો માનવામાં આવે છે કારણ કે ટીમ ઘરઆંગણે ઓસ્ટ્રેલિયાની ટીમનો સામનો કરવા જઈ રહી છે. આ શ્રેણીમાં સ્પિન મોટી ભૂમિકા ભજવે તેવી અપેક્ષા છે અને ભારતીય ટીમ પાસે રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ અને અક્સર પટેલ જેવા વર્લ્ડ ક્લાસ સ્પિનરો છે, જેઓ ઓસ્ટ્રેલિયન ટીમ પર સંપૂર્ણ રીતે વર્ચસ્વ જમાવવા માટે તૈયાર છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયન ટીમ પાસે નાથન લિયોનના રૂપમાં વર્લ્ડ ક્લાસ સ્પિનર છે. લિયોને ભારત સામે 22 ટેસ્ટમાં 94 વિકેટ લીધી છે. તે ફરી એકવાર ભારતીય બેટ્સમેનો માટે પોતાની ધરતી પર મોટો ખતરો સાબિત થશે.
જોકે, ભારતના દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરના મતે લિયોનના સ્થાને ભારતને સૌથી મોટો ખતરો ફાસ્ટ બોલર પેટ કમિન્સથી હશે. “નાથન લિયોને ટેસ્ટ ક્રિકેટમાં ઉપ-મહાદ્વીપમાં પ્રથમ પાંચ વિકેટ ઝડપી હતી. ટોચના બોલર હોવાને કારણે, લિયોન હંમેશા હુમલો કરશે, પરંતુ વાસ્તવિક ખતરો પેસરો તરફથી આવવાની સંભાવના છે. કમિન્સ એક તેજસ્વી બોલર છે અને જ્યારે ઓસ્ટ્રેલિયનો સફળ થાય છે ત્યારે તેના પેસ એટેકથી ટીમોને નુકસાન થયું છે.”