IPL

રોહિત શર્મા: “આ નિયમ ભારતીય ક્રિકેટને નુકસાન પહોંચાડી રહ્યો છે”

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અને અનુભવી બેટ્સમેન રોહિત શર્માએ IPLમાં અમલમાં રહેલા ઇમ્પેક્ટ પ્લેયર નિયમ અંગે ખુલ્લેઆમ અસંતોષ વ્યક્ત કર્યો છે. રોહિતે કહ્યું કે તેઓ આ નિયમના સંપૂર્ણપણે વિરોધમાં છે અને ક્રિકેટના હિતમાં તેમાં શક્ય તેટલી વહેલી તકે ફેરફાર થવો જોઈએ.

રોહિતના મતે ક્રિકેટના નિયમોમાં માત્ર દર્શકોનું મનોરંજન વધારવા માટે ફેરફાર કરવો રમત માટે યોગ્ય નથી. તેમણે જણાવ્યું કે ક્રિકેટને તેના મૂળ સિદ્ધાંતો અને સંતુલન સાથે જ રમાવું જોઈએ. જો રમતના નિયમો માત્ર વધુ રન અને મનોરંજન માટે બદલવામાં આવે, તો તે લાંબા ગાળે રમતને નુકસાન પહોંચાડી શકે છે.

તેણે ખાસ કરીને ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડીઓનું ઉદાહરણ આપ્યું. રોહિતે કહ્યું કે શિવમ દુબે અને નિતીશ કુમાર રેડ્ડી જેવા ખેલાડીઓને તેની સંપૂર્ણ બોલિંગ ક્ષમતા દર્શાવવાની પૂરતી તક મળતી નથી. ઇમ્પેક્ટ પ્લેયર નિયમના કારણે ટીમો ઘણીવાર વધારાના બેટ્સમેન અથવા વિશેષજ્ઞ બોલરોનો ઉપયોગ કરે છે, જેના કારણે ઓલરાઉન્ડરોની ભૂમિકા મર્યાદિત બની જાય છે.

રોહિતનું માનવું છે કે આ સ્થિતિ અંતે ભારતીય ક્રિકેટ ટીમને અસર કરી શકે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સફળતા માટે એવા ખેલાડીઓ જરૂરી હોય છે જે બેટિંગ અને બોલિંગ બંનેમાં યોગદાન આપી શકે. જો આવા ખેલાડીઓને સ્થાનિક અને ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં પૂરતી તક નહીં મળે, તો ભવિષ્યમાં ટીમ ઈન્ડિયાને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

તેણે BCCIને આ નિયમ પર ફરીથી વિચારવા અને જરૂરી ફેરફારો કરવાની અપીલ કરી છે. રોહિતના નિવેદન બાદ ક્રિકેટ વર્તુળોમાં ઇમ્પેક્ટ પ્લેયર નિયમ અંગે નવી ચર્ચા શરૂ થઈ છે. ઘણા પૂર્વ ક્રિકેટરો પણ અગાઉ આ નિયમ અંગે મિશ્ર અભિપ્રાય આપી ચૂક્યા છે. હવે જોવાનું રહેશે કે BCCI આ મુદ્દે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લે છે કે નહીં.

Exit mobile version