ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આખરે 968 દિવસ બાદ ફરી એક વખત વનડે ક્રિકેટમાં મેદાન પર જોવા મળશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એજબાસ્ટન ખાતે રમાનારી પ્રથમ વનડેમાં બુમરાહની વાપસી નિશ્ચિત માનવામાં આવી રહી છે. તેની વાપસીથી ભારતીય બોલિંગ આક્રમણને મોટી મજબૂતી મળશે અને ચાહકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
બુમરાહે છેલ્લી વનડે મેચ 2023ના વનડે વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. ત્યારબાદ ઈજાઓ અને વર્કલોડ મેનેજમેન્ટને કારણે તેઓ વનડે ટીમથી દૂર રહ્યા હતા. હવે લાંબા સમય બાદ તેઓ ફરી વનડે ફોર્મેટમાં પરત ફરતા ભારતીય ટીમ માટે આ મહત્વપૂર્ણ ક્ષણ બની છે.
ભારત માટે આ સિરીઝ માત્ર ઇંગ્લેન્ડ સામેની ટક્કર નથી, પરંતુ 2027ના વનડે વર્લ્ડ કપની તૈયારીઓની દિશામાં પણ એક મહત્વપૂર્ણ શરૂઆત છે. ટીમ મેનેજમેન્ટ અનુભવી ખેલાડીઓ સાથે યોગ્ય સંયોજન બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. બુમરાહની હાજરીથી નવા બોલ સાથે વિકેટ લેવાની ક્ષમતા વધશે, જ્યારે ડેથ ઓવર્સમાં પણ ભારત વધુ મજબૂત બનશે.
ખાસ વાત એ છે કે બુમરાહની વાપસી સાથે રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ વનડે ટીમમાં જોવા મળશે. ત્રણેય દિગ્ગજ ખેલાડીઓ લાંબા સમય બાદ એકસાથે વનડે ક્રિકેટમાં રમતા જોવા મળશે, જેના કારણે ભારતીય ટીમનો અનુભવ અને સંતુલન બંને વધશે.
ટી-20 સિરીઝમાં નિરાશાજનક પ્રદર્શન બાદ હવે ટીમ ઈન્ડિયા વનડે સિરીઝમાં જીત સાથે નવી શરૂઆત કરવા આતુર છે. બુમરાહની વાપસી ભારતીય ચાહકો માટે સૌથી મોટા સકારાત્મક સમાચાર બની છે અને હવે સૌની નજર તેની બોલિંગ પર રહેશે કે તેઓ પોતાની જૂની લયમાં કેટલા ઝડપથી પરત ફરે છે.
Jasprit Bumrah is playing his first ODI since the 2023 World Cup final in Ahmedabad 🇮🇳#ENGvIND #Cricket pic.twitter.com/lHo54DAcJa
— Wisden (@WisdenCricket) July 14, 2026
