OFF-FIELD

સંજય માંજરેકરએ સરકાર પર સાધ્યું નિશાન

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર અને જાણીતા કોમેન્ટેટર સંજય માંજરેકરે NEET-UG 2026 પેપર લીક વિવાદને લઈને દેશભરમાં ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલનને ખુલ્લેઆમ સમર્થન આપ્યું છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતાં કહ્યું કે દેશના યુવાનોના અવાજને દબાવવાના બદલે તેને આગળ વધવાની તક આપવી જોઈએ.

માંજરેકરે પોતાના સંદેશમાં લખ્યું કે યુવાનો દેશનું ભવિષ્ય છે અને તેની ન્યાયસંગત માંગણીઓને અવગણવી યોગ્ય નથી. તેણે કહ્યું કે વિદ્યાર્થીઓને દબાવવા અથવા તેની સામે કડક કાર્યવાહી કરવાની જગ્યાએ તેની વાત સાંભળવી અને તમને યોગ્ય દિશામાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવું જોઈએ. તેમના મતે, શિક્ષણ પ્રણાલી પર વિદ્યાર્થીઓનો વિશ્વાસ જળવાઈ રહે તે સરકારની જવાબદારી છે.

NEET-UG 2026 પેપર લીક બાદ દેશના અનેક વિસ્તારોમાં વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓ પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા, જવાબદારી નક્કી કરવા અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. આ મુદ્દે રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રની અનેક જાણીતી હસ્તીઓ પણ પોતાની પ્રતિક્રિયા આપી રહી છે.

સંજય માંજરેકરના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર પણ ચર્ચા તેજ બની છે. ઘણા લોકોએ તેના અભિપ્રાયને સમર્થન આપ્યું છે, જ્યારે કેટલાક લોકોએ ક્રિકેટ સાથે જોડાયેલી વ્યક્તિઓએ રાજકીય અથવા સામાજિક મુદ્દાઓ પર ટિપ્પણી કરવી જોઈએ કે નહીં તે અંગે પણ ચર્ચા શરૂ કરી છે.

NEET-UG પેપર લીક વિવાદને કારણે પરીક્ષા પ્રણાલીની વિશ્વસનીયતા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. કેન્દ્ર સરકારે આ મામલે કડક કાર્યવાહી અને સુધારાના આશ્વાસન આપ્યા છે, પરંતુ વિદ્યાર્થીઓનું કહેવું છે કે માત્ર ખાતરીઓથી નહીં, પરંતુ પારદર્શક અને અસરકારક પગલાંથી જ તેમનો વિશ્વાસ ફરીથી સ્થાપિત થઈ શકે છે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે સંજય માંજરેકરનું નિવેદન વિદ્યાર્થીઓના આંદોલનને વધુ ચર્ચામાં લાવનારું સાબિત થયું છે.

Exit mobile version