જોકે હજી સુધી તે સ્પષ્ટ નથી થયું કે આ લીગને બીસીસીઆઈ દ્વારા માન્યતા છે કે નહીં…
ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (જેએસસીએ) 15 સપ્ટેમ્બરથી ઝારખંડ પ્રીમિયર લીગ શરૂ કરવા જઈ રહ્યું છે, જેમાં છ ટીમો ભાગ લેશે. ઇએસપીએનના અહેવાલ મુજબ, જેએસસીએ સાથે સંકળાયેલા ઘણા ક્રિકેટરોને લીગ માટેની તેમની પસંદગી વિશે માહિતી આપવામાં આવી હતી અને તેઓને લીગમાં રમવા માટે પોતાનું નામ નોંધાવવા ફોર્મ પણ મોકલવામાં આવ્યાં હતાં.
આ ક્રિકેટરોને રાંચીના જેએસસીએ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રિપોર્ટ કરવા કહેવામાં આવ્યું છે જેથી તેઓ કોવિડ -19 ટેસ્ટ કરી શકે. માનવામાં આવે છે કે ઝારખંડ પ્રીમિયર લીગની તમામ મેચ રાંચીના જેએસસીએ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે રમાશે.
રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, જોકે હજી સુધી તે સ્પષ્ટ નથી થયું કે આ લીગને બીસીસીઆઈ દ્વારા માન્યતા છે કે નહીં. પરંતુ જેએસસીએ દ્વારા ખેલાડીઓને મોકલવામાં આવેલા પત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે તે બીસીસીઆઈ સાથે સંબંધિત છે.
જેએસસીએએ આ લીગ માટે બે મુખ્ય પ્રાયોજકો સાથે જોડાણ પણ કર્યું છે.
દરમિયાન, જેએસસીએના સેક્રેટરી સંજય સહાયના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, “લીગમાં કુલ છ ટીમો રમશે, જેમાં રાજ્યના છ જુદા જુદા વિસ્તારોનું પ્રતિનિધિત્વ કરવામાં આવશે. આ છ ટીમોમાં રાંચી રાઇડર્સ, દુમકા ડેરડેવિલ્સ, ધનબાદ ડાયનામોસ, સિંઘભૂમ સ્ટ્રાઇકર્સ, જમશેદપુર જગલર્સ અને બોકારો બ્લાસ્ટર્સ ટીમો શામેલ છે. ”
તેમણે કહ્યું, “આ ટીમોમાં તે જ ખેલાડીઓ હશે જેઓ ઝારખંડ રાજ્યના યુનિયનમાં નોંધાયેલા છે. કોઈ ફ્રેન્ચાઇઝી અથવા ટીમ માલિક નહીં હોય. લીગમાં લગભગ 100 ખેલાડીઓ હશે.”