T-20

હરમનપ્રીત કૌરને કેપ્ટનશીપમાંથી હટાવવાની માંગ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તાજેતરના T20 વર્લ્ડ કપ અભિયાન બાદ પૂર્વ ભારતીય મહિલા કેપ્ટન ડાયના એડુલજીએ મોટું નિવેદન આપ્યું છે. તેણે BCCIને અપીલ કરી છે કે હવે T20 ક્રિકેટમાં હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપનો અંત લાવી નવી નેતાગીરીને તક આપવાનો સમય આવી ગયો છે. ભારત સેમિફાઇનલમાં પહોંચવામાં નિષ્ફળ રહ્યું ત્યારબાદ ટીમના પ્રદર્શનને લઈને અનેક સવાલો ઊભા થયા છે.

ડાયના એડુલજીએ કહ્યું કે હરમનપ્રીત તેમની પસંદગીની ખેલાડી રહી છે અને તેણે ભારતીય મહિલા ક્રિકેટ માટે ઘણું યોગદાન આપ્યું છે. તેમ છતાં, T20 ફોર્મેટમાં હવે નવા કેપ્ટન વિશે વિચારવાની જરૂર છે. તેના મતે હરમનપ્રીત ખેલાડી તરીકે ટીમમાં યોગદાન આપતી રહે, પરંતુ કેપ્ટનશીપની જવાબદારી અન્ય કોઈ ખેલાડીને સોંપવી જોઈએ.

એડુલજીના જણાવ્યા અનુસાર કેપ્ટનશીપ માત્ર ફિલ્ડમાં બોલિંગ બદલવા સુધી મર્યાદિત નથી. મેચની વ્યૂહરચના, દબાણમાં નિર્ણયો અને ખેલાડીઓનો યોગ્ય ઉપયોગ પણ એટલો જ મહત્વનો છે. તેના મતે હરમનપ્રીતની કેપ્ટનશીપમાં છેલ્લા કેટલાક સમયથી નવીનતા જોવા મળી નથી અને ટીમને નવા વિચારો ધરાવતા નેતૃત્વની જરૂર છે.

તેણે પુરુષ ક્રિકેટનું ઉદાહરણ આપતાં કહ્યું કે જો ભારતીય પુરુષ ટીમમાં મોટા નિર્ણયો લઈ શકાય છે, તો મહિલા ક્રિકેટમાં પણ એવા સાહસિક નિર્ણયો લેવામાં સંકોચ ન રાખવો જોઈએ. BCCIએ ટીમના ભવિષ્યને ધ્યાનમાં રાખીને લાંબા ગાળાની યોજના બનાવવી જોઈએ અને યુવા નેતૃત્વ તૈયાર કરવું જોઈએ.

હાલમાં BCCI તરફથી હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જોકે, ડાયના એડુલજીના આ નિવેદન બાદ મહિલા ક્રિકેટમાં નેતૃત્વ બદલવાની ચર્ચાએ જોર પકડ્યું છે. હવે પસંદગી સમિતિ અને બોર્ડ આગામી શ્રેણીઓ માટે શું નિર્ણય લે છે, તેના પર સૌની નજર રહેશે.

Exit mobile version