T-20

ગિલ-ગંભીર પર શાર્દુલ ઠાકુરનો પરોક્ષ નિશાન

ભારતીય ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરે લાંબા સમય બાદ ટીમ ઈન્ડિયામાંથી બહાર રહેવા અંગે પોતાની લાગણીઓ વ્યક્ત કરી છે. એક ઈન્ટરવ્યૂ દરમિયાન તેણે કહ્યું કે ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન તેની ક્ષમતાનો યોગ્ય ઉપયોગ કરવામાં આવ્યો નહોતો અને જો તેને વધુ તક મળી હોત તો તેઓ ટીમ માટે વધુ સારું યોગદાન આપી શકતા. જોકે શાર્દુલે પોતાના નિવેદનમાં શુભમન ગિલ અથવા ગૌતમ ગંભીરનું નામ લીધું નથી, પરંતુ તેના નિવેદનને લઈને સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી રહી છે કે તેણે પરોક્ષ રીતે ટીમના તત્કાલીન કેપ્ટન અને હેડ કોચ તરફ નિશાન સાધ્યું છે.

શાર્દુલે કહ્યું કે ભારત માટે રમવાની તેની ઈચ્છા આજે પણ એટલી જ મજબૂત છે. તેના અનુસાર, ટીમમાંથી બહાર થઈ જવાથી સપનું પૂરું થતું નથી અને જ્યાં સુધી આશા જીવંત છે ત્યાં સુધી વાપસી શક્ય છે. તેણે જણાવ્યું કે તેઓ સતત મહેનત કરી રહ્યા છે અને ફરી એકવાર ભારતીય ટીમની જર્સી પહેરવા આતુર છે.

ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીને યાદ કરતાં શાર્દુલે કહ્યું કે તેને બોલિંગ અને બેટિંગ બંનેમાં યોગ્ય તક મળી નહોતી. તેણે સ્વીકાર્યું કે એક ઇનિંગ્સમાં તેમની બેટિંગમાં ભૂલ થઈ હતી, પરંતુ અન્ય પરિસ્થિતિઓમાં તેણે ટીમ માટે ઉપયોગી યોગદાન આપ્યું હતું. તેમ છતાં તેને લાગ્યું કે ટીમ મેનેજમેન્ટે તેની ક્ષમતાનો પૂરતો લાભ લીધો નહોતો.

શાર્દુલે વધુમાં કહ્યું કે તમના ઘરેલુ ક્રિકેટના પ્રદર્શનને જોતા તેને વધુ મેચોમાં તક મળવી જોઈએ હતી. તેના મતે કેટલીક વ્યૂહાત્મક અને પસંદગી સંબંધિત ગણતરીઓ ખોટી પડી હતી, જેના કારણે તેની કારકિર્દી પર અસર થઈ. જોકે તેમણે કોઈ વ્યક્તિ પર સીધો આરોપ મૂક્યો નથી.

અંતમાં શાર્દુલે વિશ્વાસ વ્યક્ત કર્યો કે જો તેને ફરી ભારત માટે રમવાની તક મળશે તો તેઓ અગાઉની જેમ જ મેચ જીતાડનાર પ્રદર્શન કરવા તૈયાર રહેશે. તેના આ નિવેદન બાદ ભારતીય ક્રિકેટમાં ફરી એકવાર પસંદગી અને ખેલાડીઓના ઉપયોગ અંગે ચર્ચા તેજ બની ગઈ છે.

Exit mobile version