સુરેશ રૈના, જે ભારતની 2011 વર્લ્ડ કપ જીતનો ભાગ હતો, તેણે મંગળવારે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી.
આ નિર્ણયનો અર્થ એ છે કે તે હવે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) અને ડોમેસ્ટિક ક્રિકેટમાં રમતા જોવા મળશે નહીં. તે તેના ગૃહ રાજ્ય ઉત્તર પ્રદેશ માટે ક્રિકેટ રમી રહ્યો હતો પરંતુ ગયા વર્ષે IPLમાં જોવા મળ્યો ન હતો. ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ઘણા વર્ષો સુધી આઈપીએલ રમનાર આ ખેલાડીને આ ફ્રેન્ચાઈઝી દ્વારા રિટેન કે ખરીદ્યો પણ નહોતો.
રૈનાએ ચેન્નાઈ સાથે ચાર આઈપીએલ ટાઈટલ જીત્યા હતા. રૈનાની આઈપીએલ કારકિર્દી પર નજર કરીએ તો તેણે કુલ 205 મેચ રમી છે. અને આટલી મેચોમાં તે 32.52ની એવરેજથી 5538 રન બનાવવામાં સફળ રહ્યો. IPLમાં તેના નામે 39 અડધી સદી છે, જ્યારે તેના નામે એક સદી પણ છે. તે એક સમયે IPLમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. હાલમાં તે પાંચમા નંબર પર છે. તેણે 15 ઓગસ્ટે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. હવે સવાલ એ છે કે રૈનાએ નિવૃત્તિની જાહેરાત શા માટે કરી?
IPL-2022માં રૈનાને ખરીદનાર મળ્યો ન હતો. તેને ચેન્નાઈ સુપર કિંગ્સે જાળવી રાખ્યો ન હતો અને પછી અન્ય કોઈ ફ્રેન્ચાઈઝીએ પણ તેને ખરીદ્યો ન હતો. આ વખતે પણ એવી અપેક્ષા નહોતી કે કોઈ ફ્રેન્ચાઈઝી રૈના પર દાવ લગાવશે.
ભારતીય ક્રિકેટમાં સક્રિય રહેતા રૈના વિદેશી લીગમાં રમી શકતો નથી. BCCI તેના ખેલાડીઓને ત્યાં સુધી વિદેશી લીગમાં રમવાની પરવાનગી આપતું નથી જ્યાં સુધી તેઓ નિવૃત્ત ન થાય. રૈના વિદેશી લીગમાં રમવા માંગતો હતો, તેથી તેણે નિવૃત્તિની પણ જાહેરાત કરી.
ગૃહ રાજ્યમાં પણ ઘણી પ્રતિભાઓ બહાર આવી રહી છે. આવી સ્થિતિમાં તેના માટે રાજ્યની ટીમમાં પણ જગ્યા બનાવવી મુશ્કેલ બની રહી હતી. તેણે નિવૃત્તિ લીધી તેનું આ પણ એક કારણ હોઈ શકે છે.
રૈના છેલ્લે 2021માં IPL રમ્યો હતો, પરંતુ તે વધુ પ્રદર્શન કરી શક્યો નહોતો. તે આખી મેચ પણ રમ્યો નહોતો. તેનું ફોર્મ પણ તેની પાસેથી અપેક્ષા મુજબનું નહોતું.