ODIS

જેસન હોલ્ડરે વનડે ક્રિકેટને કહ્યું અલવિદા

વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ ટીમના અનુભવી ઓલરાઉન્ડર અને પૂર્વ કેપ્ટન જેસન હોલ્ડરે વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હોવાનું વેસ્ટ ઇન્ડિઝના મુખ્ય કોચ ડેરેન સેમીએ જાહેર કર્યું છે. જોકે હોલ્ડરે પોતે હજુ સુધી સત્તાવાર રીતે નિવૃત્તિની જાહેરાત કરી નથી, પરંતુ સેમીએ એક પોડકાસ્ટ દરમિયાન તેના વનડે કરિયરનો અંત આવી ગયો હોવાની પુષ્ટિ કરી છે.

ડેરેન સેમીએ જણાવ્યું કે, જેસન હોલ્ડર હવે વનડે ક્રિકેટ નહીં રમે, પરંતુ તેઓ હજુ પણ ટેસ્ટ ક્રિકેટમાં વેસ્ટ ઇન્ડિઝનું પ્રતિનિધિત્વ કરવા ઇચ્છુક છે. સેમીના જણાવ્યા અનુસાર, હોલ્ડર સાથે ટેસ્ટ ક્રિકેટ અંગે વાતચીત થઈ ચૂકી છે અને જો તેની ફ્રેન્ચાઇઝ ક્રિકેટની વ્યસ્તતા તેમજ ટીમની યોજનાઓ અનુકૂળ રહેશે તો તેઓ ફરી ટેસ્ટ ટીમમાં જોવા મળી શકે છે.

34 વર્ષીય હોલ્ડર છેલ્લા કેટલાક વર્ષોથી વિશ્વભરની ટી20 લીગોમાં સતત વ્યસ્ત રહ્યા છે. આ કારણે તેઓ વેસ્ટ ઇન્ડિઝ માટે મર્યાદિત ઓવરના ક્રિકેટમાં ઓછા જોવા મળ્યા હતા. હવે તેની વનડે નિવૃત્તિ બાદ કેરેબિયન ટીમ નવા ઓલરાઉન્ડરોને વધુ તક આપવાની દિશામાં આગળ વધી રહી છે.

હોલ્ડરે પોતાના વનડે કરિયરમાં 138 મેચ રમી હતી. આ દરમિયાન તેણે 2,237 રન બનાવ્યા અને 159 વિકેટ ઝડપી હતી. તેઓ વેસ્ટ ઇન્ડિઝના સૌથી વિશ્વસનીય ઓલરાઉન્ડરોમાંના એક રહ્યા હતા. તેની આગેવાનીમાં ટીમે મુશ્કેલ સંક્રમણના સમયગાળામાં અનેક મહત્વપૂર્ણ શ્રેણીઓ રમી હતી.

ડેરેન સેમીએ વધુમાં કહ્યું કે હાલ જસ્ટિન ગ્રીવ્ઝ ઓલરાઉન્ડરની ભૂમિકા સારી રીતે નિભાવી રહ્યા છે, જેના કારણે ટીમને ભવિષ્ય માટે સારો વિકલ્પ મળી રહ્યો છે. તેમ છતાં હોલ્ડરનો અનુભવ ટેસ્ટ ક્રિકેટમાં હજુ પણ ટીમ માટે ખૂબ જ મહત્વનો રહેશે.

જેસન હોલ્ડરની વનડે કારકિર્દીનો અંત વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ માટે એક યુગના અંત સમાન માનવામાં આવી રહ્યો છે. હવે ચાહકોને તેની તરફથી સત્તાવાર નિવૃત્તિની જાહેરાતની રાહ રહેશે.

Exit mobile version