ODIS

નિતિશ રેડ્ડીની ઈજાએ બદલ્યું ટીમ ઈન્ડિયાનું ગણિત

ઈંગ્લેન્ડ સામે રમાનારી ત્રણ મેચની વન-ડે શ્રેણી પહેલાં ભારતીય ટીમમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. ઓલરાઉન્ડર નિતિશ કુમાર રેડ્ડી સંપૂર્ણપણે ફિટ ન હોવાથી તેને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યા છે, જ્યારે તેના સ્થાને શિવમ દુબેને ભારતીય ODI ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા આ બદલાવની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

નિતિશ કુમાર રેડ્ડી ક્વાડ્રિસેપ્સની ઈજામાંથી હજુ સંપૂર્ણ રીતે સાજા થયા નથી. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ ફિટનેસ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તબીબી ટીમ તરફથી તેને શ્રેણી માટે લીલી ઝંડી મળી નહોતી. પરિણામે પસંદગી સમિતિએ કોઈ જોખમ ન લેતા તેની જગ્યાએ અનુભવી ઓલરાઉન્ડર શિવમ દુબે પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

શિવમ દુબે હાલમાં ઈંગ્લેન્ડમાં ભારતીય ટી-20 ટીમ સાથે હાજર છે. તેથી તેને અલગથી બોલાવવાની જરૂર નહીં પડે અને તેઓ સીધા જ ODI ટીમ સાથે જોડાઈ શકશે. દુબે પોતાની આક્રમક બેટિંગ ઉપરાંત મધ્યમ ગતિની બોલિંગથી પણ ટીમને સંતુલન આપે છે. આ કારણસર ટીમ મેનેજમેન્ટે તેને મહત્વપૂર્ણ વિકલ્પ તરીકે પસંદ કર્યો છે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વન-ડે શ્રેણીની શરૂઆત 14 જુલાઈથી બર્મિંગહામમાં થશે. ત્યારબાદ બીજી મેચ 16 જુલાઈએ કાર્ડિફમાં અને ત્રીજી તથા અંતિમ મેચ 19 જુલાઈએ લોર્ડ્સ ખાતે રમાશે. આ શ્રેણી બંને ટીમો માટે આગામી મોટા આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટની તૈયારીઓના દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

હવે તમામની નજર શિવમ દુબેના પ્રદર્શન પર રહેશે. મળેલી આ તકનો તેઓ કેટલો ફાયદો ઉઠાવે છે અને ભારતીય ટીમમાં પોતાનું સ્થાન કેટલું મજબૂત બનાવે છે, તે જોવું રસપ્રદ રહેશે.

Exit mobile version