TEST SERIES

સચિન તેંડુલકરે આપી ભાવુક વિદાય

ભારતીય ક્રિકેટના શાંત અને ભરોસાપાત્ર બેટ્સમેન અજિંક્ય રહાણેએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને પોતાની લાંબી કારકિર્દી પર પૂર્ણવિરામ મૂક્યું છે. રહાણેના આ નિર્ણય બાદ ક્રિકેટ જગતમાં તેના માટે શુભેચ્છાઓ અને ભાવુક સંદેશાઓનો વરસાદ થયો છે. ખાસ વાત એ છે કે મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે નિવૃત્તિની જાહેરાત બાદ રહાણેને સૌથી પહેલા ફોન કરીને તેને શુભેચ્છા પાઠવી હતી.

રહાણેએ જણાવ્યું કે સચિન તેંડુલકરે ફોન પર તેને કહ્યું હતું કે તેને આશા હતી કે રહાણે હજુ લાંબા સમય સુધી ભારત માટે રમશે. જોકે, રહાણેએ સ્પષ્ટ કર્યું કે તેઓ પોતાના નિર્ણયથી સંપૂર્ણપણે સંતુષ્ટ છે અને કારકિર્દીને માત્ર ખેંચવા માટે આગળ વધારવા માંગતા નહોતા. તેણે કહ્યું કે તેઓ કોઈ અફસોસ વગર ક્રિકેટને અલવિદા કહી રહ્યા છે.

રહાણે માટે નિવૃત્તિનો નિર્ણય ભાવુક પણ રહ્યો. તેણે જણાવ્યું કે નિવૃત્તિનો વીડિયો રેકોર્ડ કરતી વખતે તેની આંખોમાં આંસુ આવી ગયા હતા. વર્ષોથી જે રમતને તેણે પ્રેમ કર્યો હતો, તેને હવે ફરી નહીં રમી શકે તે વિચારથી તેઓ ખૂબ ભાવુક થયા હતા. તેમ છતાં, તેણે કહ્યું કે હવે તેઓ પોતાના નિર્ણયને લઈને શાંત અને ખુશ છે.

રહાણેની સાથે લાંબા સમય સુધી રમેલા વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ અને ચેતેશ્વર પૂજારાએ પણ તેને સંદેશ મોકલીને ભારતીય ક્રિકેટમાં તેમના યોગદાનને યાદ કર્યું. રહાણેએ ખાસ કરીને વિરાટ કોહલી અને પૂજારા સાથેની પોતાની બોન્ડિંગને યાદ કરી હતી.

તેણે કહ્યું કે ટીમનો એક જ હેતુ હતો—ભારતીય ટેસ્ટ ટીમને વિશ્વની નંબર-1 ટીમ બનાવવી. છઠ્ઠા-સાતમા સ્થાનેથી શરૂ થયેલી ટીમની સફર ધીમે ધીમે ટોચ સુધી પહોંચી અને આ સમયગાળામાં ટીમના ખેલાડીઓએ અનેક પડકારોનો સામનો કર્યો.

વિદેશી પરિસ્થિતિઓમાં મજબૂત ટેકનિક અને શાંત સ્વભાવ માટે જાણીતા રહાણે ભારતીય ટેસ્ટ ક્રિકેટના મહત્વપૂર્ણ ખેલાડી રહ્યા. હવે તેની નિવૃત્તિ સાથે ભારતીય ક્રિકેટના એક શાંત પરંતુ યાદગાર અધ્યાયનો અંત આવ્યો છે.

Exit mobile version